Description
પ્રસ્તાવના...
–આ. મુનિચન્દ્રસૂરિ
આ. શીલરત્નસૂરિ અંચલગચ્છની પરંપરામાં વિક્રમના પંદરમાં શતકમાં થયા છે.
મંત્રવિશારદ અચલગચ્છાધિપતિ મેરુતુંગસૂરિના શિષ્ય આ. જયકીર્તિસૂરિના તેઓ વિદ્વાન શિષ્ય હતા.
આ. મેરુતુંગસૂરિના જૈન કુમારસંભવ કાવ્ય ઉપર આ. શીલરત્નસૂરિએ વિ.સં. ૧૪૯૧માં પાટણમાં રચેલી ટીકા આત્માનંદસભા તરફથી પ્રગટ થઈ છે. ટીકાકારની વિદ્વત્તા વિષે જૈન મેઘદૂતની પ્રસ્તાવનામાં શ્રી છોટાલાલ મગનલાલ લખે છે કે –
“ટીકાના અવલોકનથી જણાય છે કે ટીકાકાર વ્યાકરણ અલંકાર અને ન્યાયશાસ્ત્રમાં વ્યુત્પન્ન હોવા જોઈએ. સ્થળે સ્થળે પ્રયોગોની સિદ્ધિ વ્યાકરણદ્વારા બહુ સ્પષ્ટતાથી સમજાવી છે. ટીકા બહુ સરળ છે.”
મુનિ ચારિત્રવિજય મ. પણ (જૈન શ્વેતાંબર કોંફરંસ હેરલ્ડમાં) લખે છે કે – “મેરુતુંગસૂરિના કેટલાએક લેખો ઉપર તે મહાત્માએ રચેલી ટીકાઓ ઘણી આકર્ષક બની છે. તેમાં મેરુતુંગવિરચિત મેઘદૂતકાવ્ય ઉપરની તેમની ટીકા તેમના સાહિત્યના પૂરા અને ઊંચી જાતના જ્ઞાનની પ્રતીતિ આપે છે.” (અચલગચ્છ દિગ્દર્શન પૃ. ૨૪૪)
ઉપરોક્ત મેઘદૂતની ટીકાનું સંશોધન આ. માણેક્યશેખરસૂરિએ કર્યું હોવાથી ટીકાકાર એમનો આભાર માને છે અને ખૂબ પ્રશંસા કરે છે. બંને સહાધ્યાયી હોય એ પણ શક્ય છે.
આ. શીલરત્નસૂરિજીની રચનાઓમાં પ્રસ્તુત ચૈત્યવંદન ચોવીસી અને મેઘદૂતની ટીકા મુખ્ય છે. આ ઉપરાંત એમણે ચાર સ્તોત્રો અને અષ્ટક વગેરે રચ્યાના ઉલ્લેખ મળે છે. તેઓએ સીમંધરસ્વામિનું સંસ્કૃત
‘અંચલગચ્છીય સાધ્વીજી દ્વારા રચિત શ્રી જિનેશ્વર સ્તોત્ર દ્વય' નામના લેખના સંપાદક જણાવે છે કે- “વિદૂષી સાધ્વીશ્રી મેરુલક્ષ્મી ગણિનીકૃત બે સંસ્કૃત સ્તોત્ર પ્રાપ્ત થાય છે. તેની સોળમી સદીમાં લખાયેલી હસ્તલિખિત પ્રત કોટા (રાજસ્થાન)ના મ. ‘વિનયસાગર સંગ્રહ'માં ઉપલબ્ધ થાય છે. તેમાં શરૂમાં ચાર સ્તોત્રો અંચલગચ્છીય શ્રી શીલરત્નસૂરિ કૃત છે.' શ્રી વિનયસાગરજી પાસેથી અમને આ સ્તોત્રોની ઝેરોક્ષ મળી છે.